Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025

વલવાડામાં દીકરીના લગ્ન માટે રાખેલા એક લાખ ઘરની આગમાં સ્વાહા, પરિવાર કામ અર્થે બહાર ગયો ત્યારે બની ઘટના

 

ઉમરગામ તાલુકાના વલવાડા સડક ફળિયામાં સોમવારે સાંજે એક પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. હળપતિ પરિવારના બંધ ઘરમાં લાગેલી ભયાનક આગમાં દીકરીના લગ્ન માટે રાખેલી એક લાખ રૂપિયાની રોકડ સહિત ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.

વલવાડા સડક ફળિયામાં રહેતા નરેશભાઈ છીબુભાઈ હળપતિનો પરિવાર દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. 1 ડિસેમ્બરના રોજ સાંજે અંદાજે 5.30 વાગ્યે અચાનક ઘરમાં આગ ફાટી નીકળી હતી. બંધ ઘરમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઘરમાં મૂકેલા ત્રણ કબાટ, બોક્સ પલંગ, ટીવી, ફ્રિજ, ઘર વખરી, ગાદી, ગોદડા સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.

આગની ઘટનામાં દીકરીને સાસરે વળાવવા માટે રાખેલા એક લાખ રૂપિયાની રોકડ પણ આગમાં સ્વાહા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેના પગલે બે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની તીવ્રતાને કારણે ઘરના સ્લેબના પીપળા પણ ખરી પડ્યા હતા.

અચાનક બનેલી આ ઘટનાને પગલે નરેશભાઈ અને તેમના પરિવાર માટે પગ તળેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દીકરીના લગ્નના સપનાઓ સાથે એકત્ર કરેલો બધો સામાન અને બચત પળોમાં બળીને ખાખ થઈ જતા પરિવાર ગંભીર આઘાતમાં મૂકાયો છે.

#વલવાડા #ઉમરગામ #ઘરનીઆગ #લગ્નનીતૈયારી #FireIncident #ValsadDistrict #GujaratiNews #LocalNews

══════════════════

અચ્છારીમાં ઓરિયેન્ટલ કંપનીએ નોટિસ બાદ પણ આકારણી ન કરાવતાં પંચાયત બીજી નોટિસ ફટકારશે, પરવાનગી વિના કંપની શરૂ કર્યાનો આક્ષેપ

 

ઉમરગામ તાલુકાના અચ્છારી ગામમાં કાર્યરત ઓરિયેન્ટલ ઇલેક્ટોનેક્ટ સોલ્યુશન્સ કંપનીને પંચાયત દ્વારા નોંધણી તથા આકારણી માટે જરૂરી દસ્તાવેજો જમા કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. બે માસનો સમય પસાર થયા છતાં કંપની દ્વારા જરૂરી કાગળો જમા ન કરાતા બાંધકામની પરવાનગી, નોંધણી અને આકારણી વિના કંપની ધમધમતી કરી દેવાઈ હોવાનું પંચાયત રેકોર્ડ પરથી સામે આવ્યું છે.

આ અગાઉ નગર નિયોજન વિભાગ દ્વારા કંપની સંચાલકોને ટાઉન પ્લાનિંગની 41 શરતોનું પાલન કરી પંચાયત કચેરીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને આકારણી કરાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે ઓરિયેન્ટલ ઇલેક્ટોનેક્ટ સોલ્યુશન્સ કંપનીએ આ શરતોનું પાલન કર્યા વિના અને પંચાયતની પરવાનગી મેળવ્યા વગર જ કેટલાક અધિકારીઓની મેળાપીપણામાં કંપની શરૂ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિકોને રોજગારી અને ગામના વિકાસને ધ્યાનમાં રાખીને સરપંચ જશોદાબેન ધોડીએ કંપનીને આકારણી કરાવવા નોટિસ આપી હતી. તેમ છતાં બે માસ પછી પણ કંપની સંચાલકોએ આકારણી માટે કોઈ યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નથી. કંપની દ્વારા માત્ર લેટરહેડ વિના બ્લેન્ક કાગળ પર સિક્કો લગાવી કંપનીની વેલ્યુએશન દર્શાવતો એક પત્ર જમા કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સરપંચ દ્વારા અપાયેલી નોટિસમાં ગંદાપાણીના નિકાલ માટે જીપીસીબીની પરવાનગી, એન.એ. ઓર્ડર, પાણીના બોર માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની મંજૂરી, ટાઉન પ્લાનિંગની 41 શરતોના ના વાંધા પ્રમાણપત્ર, બાંધકામનો નકશો સહિત તમામ જરૂરી દસ્તાવેજો જમા કરવા જણાવ્યું હતું. પરંતુ કંપની સંચાલકો દ્વારા આ બાબતે કોઈ જવાબ ન આપતા હવે પંચાયત આગામી દિવસોમાં બીજી કડક નોટિસ ફટકારવાની તજવીજ કરી રહી હોવાનું જાણવા મળે છે.

#અચ્છારી #ઉમરગામ #પંચાયત #ઓરિયેન્ટલકંપની #આકારણી #પરવાનગીવિનાકંપની #ValsadDistrict #GujaratiNews #LocalNews

══════════════════

ભીલાડમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગથી દોડધામ, આખી દુકાન બળીને સ્વાહા

 

ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે ગરનાળા રોડ પર આવેલી એ વન ફર્નિચરની દુકાનમાં મંગળવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

ભીલાડ રેલવે અંડરપાસ માર્ગ પર આવેલી એ વન ફર્નિચરની દુકાન લાકડાંના ફર્નિચરથી ભરેલી હતી. મંગળવારે સાંજે અચાનક દુકાનમાં આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. આગના કારણે આખી દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનમાં રાખેલ તમામ ફર્નિચર બળીને ખાખ થઈ જતા દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

#ભીલાડ #ઉમરગામ #ફર્નિચરનીદુકાન #આગનીઘટના #FireIncident #ValsadDistrict #GujaratiNews #LocalNews

══════════════════


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

One Thought to “Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025”

  1. Bhagyshri

    ખુબ જ સરસ આ રીતે તમે રોજ અપડેટ મારતા રહેશો તો અમે પણ ન્યુઝ મળતી રહેશે…

Leave a Comment